Saturday, June 27, 2020

જેતપુર શરાફબઝાર ના "સરદાર" સોની વલ્લભજી લાખાભાઈ કરાંચી વાળા



લગભગ દોઢસો વરસ પહેલાં કચ્છ માં અંધાર યુગ હતો, "મારે તેની તલવાર બળિયા ના બે ભાગ" જેવી સ્થિતિ હતી છાશવારે સિંધી લૂંટારા ગામ લૂંટી ખેદાન મેદાન કરી જતા હતા , પણ ટપર  અને બેરાજા ની આજુબાજુ ના બાર ગામ પરજીયા સોની એ વસાવેલ હતા, આ ગામો માં પરજીયા સોની લાખા ધોરડા નો દબદબો અને હાકો હતો. લાખો, યુવાની અને નાની ઉમરમાજ  દીર્ઘદ્રષ્ટિ કુનેહ,શૌર્ય, ધૈર્ય, ચતુરાઈ,  માટે મલક આખામાં વરતાયો  હતો,લાખા,  ધોરડા ની છાપ ને લીધે ચમરબંધી ને પણ આ ગામો ઉપર નજર બગાડતા સાત વાર વિચાર કરવો પડે.. આવો અડાભીડ લાખો ખોટા ,કપટી, લુચ્ચા, નાલાયક માણસોની નજર માં કણા ની જેમ ખૂંચતો,... ટપર અને બેરાજા ના ભેગા ઉઠ બેસ કરતા, નાલાયક કપટી માણસો એ કારસો રચ્યો,  લાખા નું કાસળ કાઢી નાખવા એક રાતે મધરાત ના સમયે નક્કી કરેલ પંદરેક માણસો ગામ ઉપર ત્રાટકયા, લાખાને જાણ થઈ, ગામના ખૂટેલજુવાનિયા ની આગેવાની લઇ લાખો સામે ગયો. આજે પોતે શીખેલ તલવારબાજી પટાબાજી, ઘોડેસવારી ની  કસોટી હોય તેમ જંગે ચડ્યો, લાખા ની રગેરગ માં શુર ચડ્યું,  દિવાળી, ધુળેટી જેવા તહેવારો ના દિવસે પાંચ પાંચ જણા નાગી તલવારો લાખા ઉપર હુમલો કરે અને લાખો નખ શીખ આરપાર નીકળે, પણ લાખો જાણતો હતો કે આજ રમત નહોતી આજે ખેલ ખરાખરીનો છે, લાખો પોતાની સમગ્ર તાકાત થી લડે છે, અણી ને વખતેજ કપટી, લુચ્ચા , દગાખોર માણસો રચેલ કારસા મુજબ મેદાન માંથી ભાગે છે,  લાખાએ આજોયું પણ તે બમણા શુરાતાને રણે ચડ્યો.. લાખા નું આવું  વિકરાળ, ભયાનક રૂપ જોઈ કારસો કરનારા કાયર લોકો ભાગ્યા.. મલક આખા માં લાખાના નામનો ડંકો વાગી ગયો, ચોરેને ચૌટે લાખાની જ વાતો ચર્ચાય.. પણ લાખો સુનમુન રહે, પોતાની બહાદુરી નો  રતીભાર પણ હરખ નહીં..
એક રાતે ઓરડે ઢોલિયે લાખો  ઉઘાડી આંખે જાગતો સૂતો છે. ઢોલિયાની પાંગતે પરણેતર મોતી બેઠી છે, લાખો સુનમુન સૂતો છે, મોતી લાખા સામે જોવેછે .. મોતી, પૂછે છે કે સોની , મલક આખામાં તમારી ચર્ચા છે, વાહ વાહ થાયછે અને તમે આમ સાવ મૂંઢ.. મૂંગા મંતર.. છે શું? કઈ અજુગતું બન્યું છે કે શું? સોની , કંઈક ફોડ પાડશો તો મારગ મળશે, બીજાને નહીં કહોતો વાંધો નહીં.. પણ હું તો તમારી પરણેતર છું, મને તો કહો... લાખો મોતી સામે  શૂન્યમસ્ક ચહેરે જોવેછે, સોનારણ ....મારુ કાસળ કાઢવાનો જેને હું મારા પોતાના માનતો હતો એ દરબારુ એ ઘડ્યો, લૂંટારું નું તરકટ કર્યું ...માં હિંગળાજ મદદે આવી હું આરપાર નીકળી બચી ગયો.. તલવાર બાજી અને તલવાર પટા ની રમત ના દાવ કામ આવ્યા, લોહી નો ટશયો પણ નહીં ને હું સાંગોપાંગ નીકળ્યો... મારી વાહ વાહ થઈ, માં હિંગળાજ ના હાથ વગર કેમ બને...? મોતી સામે જોઈ લાખો બોલ્યો, સોનારણ ,  ટપર છોડવું પડશે, અહીં સલામતી નથી,  ...મોતી કહે કેમ ..?  લાખો કહે સોનારણ ... જ્યાં વિશ્વાસ હોય ઇ જમીનમાં શ્વાસ લેવાય અહીં મારો વિશ્વાસ ખૂટયો..સમજ ને આપણો શ્વાસ ખૂટયા...અરે...સોનારણ...સામી છાતીએ  પાંચ દસ જણાને તો હું  ભરી પીવ પણ ...પણ આ કાયર કપટી લોકો ને કેમ પોહચવું.. ? એ પીઠ પાછળ ઘા કરવા વાળી જાત.. મને લાગેછે કે ટપર ને જીવ્યા મારવા ના જુવાર કરવા પડશે.. તમે શું કહોછો ? સોનારણ.. મોતી ...ધણી સામે જોઈ નિસાસો નાખી કહેછે પરજાવ થી સિંધ, સિંધ થી પાટણ, પાટણ થી કચ્છ કોણ જાણે આ હિજરત ક્યાં જઇ ને અટકશે...!!! પણ મેં નક્કી કરીજ લીધું છે  મારે ટપર અને બેરાજા નું પાણી " અગરાજ કરવું છે..." લાખા એ પોતાની પ્રતિજ્ઞા નો નિર્ણય કીધો..   મોતી એ પોતાના ધણી ને હિંમત આપતી હોય તેમ ખુમારી થી બોલી  તો સોની એમ કરીએ.. .. ઉપર વાળો કીડી ને કણ, હાથી ને મણ, અને આ પરજીયા ને પણ પેટ પૂરતું આપીજ રહેશે... સગા વહાલા, પરિવાર અને ગામ માં રહેતા પરજીયા ઓ સામે વાત મૂકી  ટપર બેરાજા ના પાણી અગરાજ કર્યા અને પરજીયા સૌએ સુખપુર વસાવ્યું, પણ લાખાએ તો મનોમન કચ્છ ને રામ  રામ કરવાનું નક્કી  કરી લીધું હતું ,..પતિ પત્ની બે ઘોડી પર જરૂર પૂરતો સમાન મૂકી  એક ઉપર મોતી એ પલાણ નાખ્યા, બીજી પર લાખા એ પલાણ નાખ્યા,કચ્છ છોડતી વખતે મોતી ની આંખમાં અશ્રુ મોતી ખર્યા, લાખા ની નજર થી છાનું ના રહ્યું, સોનારણ, મન કોચવાય છે? લાખાએ કહ્યું.. ,  મોતી લાખા સામે જોઈ બોલી ના ...ના ..સોની, તમે અસ્ત્રી ની જાત નથી ને એટલે...!!! તમને નહીં સમજાય..!!! અસ્ત્રી ની લાગણી શુ છે ? અસ્ત્રી માવતર નું ઘર મેલે ત્યારે કેટ કેટલી વોલોવાય ઇ તમે મરદ જાત શુ જાણો? સોની,આજ કચ્છ ને જીવ્યા મુવાના જુવાર કરતા કરતા હૈયું એવું જ વોલોવાય છે..   જ્યારે માવતર નું ઘર મૂક્યું ત્યારે વલોવાયું,.... એવું જ આજે વોલોવાય છે.......આમ કોચવાતા મને  પતિ પત્ની એ આજીવન કચ્છથી વિદાય લીધી...
મોરબી, રાજકોટ,   ગોંડલ, જેતપુર  જૂનાગઢ જેવા અને અનેક નાના મોટા રજવાડા માં થોડા થોડા દિવસો રોકાણ કરી, પતિ પત્ની માણાવદર બાટવા પાસે ના ગીદડ (હાલ નું સરદાર ગઢ) ગામે આવ્યા,  રાજા મુસ્લિમ હતા શેખ ના નામે ઓળખાતા, શેખસહેબે લાખાભાઈ ને પૂછ્યું ક્યાંથી આવો છો?કચ્છ મુકવાનું કારણ શું..? લાખાભાઈ એ  માંડીને બધી વાત કહી  શેખ સાહેબ ને લાખાભાઈ માં વટીલો, ટેકીલો, ખતીલો ,ઈમાનદાર, વચનબદ્ધ,  નખશીખ કંડારાયેલી મૂર્તિ દેખાઈ..શેખ સાહેબે લાખાભાઈ સામે જોઈ પુછ્યું તમારી જાત કઈ...? લાખાભાઈ એ કહ્યું પરજીયા સોની.. શેખ સાહેબે ફરી પૂછ્યું સોની તો બરાબર ...પ..ણ પરજીયા એટલે કેવા...,?  લાખાભાઈ એ સમજણ આપતા કહ્યું,
"વાણિયાનો વિવેક , મુતસ્દી, ક્ષત્રિય નું શૌર્ય અને ટેક જ્યાં મળે ત્યાં પરજીયા નો જન્મ થાય" શેખ સાહેબ ખુશ થઈ બોલ્યા વાહ જુવાન વાહ તારી વાત કરવાની રીત રજવાડી છે.. લાખાભાઈ તમે રાજ માં કામદારૂ કરશો...?લાખાભાઈ એ જવાબ માં કહ્યું મારી રીતે...શેખસહેબે કહ્યું રીતે એટલે ..? લાખાભાઈ એ કહ્યું મારી શરતે.. શેખ સાહેબે કહ્યું શુ શરત.. ? લાખાભાઈ એ કહ્યું સ્વમાન...!!! શેખ સાહેબે પૂછ્યું એટલે.. ? સ્વમાન આપી સ્વમાન લવ..!!! શેખ બોલ્યા મંજુર...લાખાભાઈ વળતર બોલો.. ? લાખાભાઈ બોલ્યા  માન.. મરતબો.. મોભો..અને મૂલ્ય માગ્યે ના મળે એ તો આપો આપ મળે.. શેખ સાહેબ..!!!લાખાભાઈ ના જવાબ થી શેખ સાહેબ ખુશ થયા.. લાખાભાઈ ની રઝડપાટ પુરી થઈ ,જીવન સ્થિર થયું... શેખ સાહેબ ની નાની મોટી દરેક સમશ્યા નું નીરાકરણ લાખાભાઈ ચપટી વગાડતા કરી આપે,  ઘોડાની દરેક ચાલ રણમેદાનમાં ઘોડાની ચાલ, લગનમાં ઘોડા ની ચાલ, રેવાર ચાલ, પાટી ચાલ જેવી અનેક ચાલ કમરે ઘોડા નું મોહરુ બાંધી આબેહૂબ કરી બતાવતા, પાંચ પાંચ તલવારો  ના ખેલદા વચ્ચે આરપાર નીકળી બતાવતા, પટા બાજીના પણ ખેલદા હતા દિવાળી , ઇદ જેવા તહેવારો માં લાખાભાઈ ના રાજમાં કાર્યક્રમ  રાજ તરફથી ગોઠવાતા હતા..




સુખી દામ્પત્ય ના પરિપાક રૂપે  લાખા લખમણ ધોરડા ને આંગણે ત્રણ ત્રણ દીકરા  રમતા થયા ,મોટો જેરામ, વચલો વલ્લભજી, નાનકો મૂળજી, જેરામ અને વલ્લભજી માં ઉમર માં લાંબો તફાવત નહીં પણ મૂળજી ની ઉમર માં થોડો વધુ ફેર.. લાખાભાઈ ધોરડા નું રાજમાં તો માંન હતું જ પણ રાજ પરિવાર માં ભાયાતો જેટલું જ માન મરતબો હતો ,જેરામ અને વલ્લભ રાજ ઘરાનામજ ઉછરવા લાગ્યા,  જેરામ ની બુદ્ધિ તેજ, તરાર ,મુતસ્દી અને વાતડાહ્યો હતો. વલ્લભ સાહસિક,દયાળુ ,ચબરાક અને હોશિયાર હતો, મોતીમાં  દયાળુ લાગણીશીલ,મોતી માં નો રોટલો મોટો અને મહેમાનગતિ પંથકમાં વખણાતી,  જેરામ અને વલ્લભમાં બન્ને ના ગુણ હતા,જેરામ અને વલ્લભ ને લાખાભાઈ રાજકાજ ના કામ માં પલોટાતા હતા.. આમ કચ્છ કરતા લાખાભાઈ ના પરિવાર માં સુખ શાંતિ સમૃદ્ધિ ઘણી વધી હતી, દંગા ફસાદ, લડાઈ ,ઝગડા જેરામે કે વલ્લભે અનુભવ્યા તો ઠીક  જોયા પણ ના હતા આમ ત્રણે દીકરા રાજકુંવર ની જેમ મોટા થતા હતા..
કહેવાય છે ને કે "એક સરખા સુખના દિવસો કોઈના જાતા નથી" સરદારગઢ દરબાર ગઢ માંથી વાત વહેતી થઈ કે શેખ સાહેબ ને જેરામ ની કુનેહ,  ડહાપણ,  ચતુરાઈ ઈમાનદારી,વફાદારી, પ્રભાવીત કરી ગઈ છે,જેરામ ને કાયમી નજીક રાખવા વટલાવી જશન માનવવો..  વાત વહેતી વહેતી મોતી  અને લખાભાઈ પાસે પહોચી,.. લાખાભાઈ એ મોતી  ને કહ્યું, સોનારણ આવી સાચી ખોટી વાતું તો રાજ માં હાલતી જ હોય, વચ્ચે વાત કાપતા મોતી બોલ્યા,ના કરે નારાયણ ને વાત સાચી નીકળે તો, પાછી કચ્છવાળી હિજરત જ કરવી ને, વાત સાચી માની કાંઈક જેરામ માટે વિચારો, મારે એક જનમ માં મારા જેરામ ને બે ધરમ ના પાપ માં નથી પાડવો.. સોની.. !!! પતિ-પત્ની બન્ને મૌન...,લાખાભાઈ મૌન તોડતા બોલ્યા અત્યાર સુધી કારસો નથી રચ્યો પણ ધરમ સાચવવા ..!!! કંઈક કરવું પડશે, શેખ સાહેબ ને જાણ વગર જેરામ ને કરાંચી ભેગો કરીયે.. મોતી માં બોલ્યા  મારા જેરામ નું કરાચી માં કોણ..?  લાખાભાઈ બોલ્યા, ત્યાં મારો કચ્છ નો એક ભેરુ" દામો" છે તે મદદ કરશે ઉલટો  દામો તો રાજી નો રેડ થશે..!!! શેખ સાહેબ ને ખબર પડશે તો ...શુ જવાબ આપશું..? કોઈને કાઈ કહ્યા વગર  જેરામ ઘર છોડી ભાગી ગયો, ગોતવા નું નાટક કરશું.. શેખ સાહેબ ભલો માણસ છે, તે આપણું અહિત ના જ કરે ઉલટાનું આપણને હૂંફ આપે તેવો દયાળુ માણસ છે..!!!
વાત નો અમલ કર્યો જેરામ ને રાતો રાત ઉપલેટા સબધી ને ત્યાં મૂકી..  લાખાભાઈ જેરામ ને ગોતવા ગયા છે તેમ નાટક  કરી બધાને ખબર આપ્યા  કે જેરામ ક્યાંક ભાગી ગયો  લાખાભાઈ તેને ગોતવા ગ્યાછે,આમ જેરામ ને પોરબંદર થી કરાચી ની સ્ટીમર માં બેસાડી દીધો.. વાત વહેતી  કરી જેરામ ઘર છોડી ભાગી ગયો.. થોડા વખત ઘીના ઠામ માં ઘી પડી ગયું.. બેચાર મહિને વાવડ વહેતા કર્યા કે જેરામ કરાચી  પોહચી ગયો..
જેરામ, જીદગી માં પહેલીવાર સરદારગઢ બહાર નીકળ્યો બાપુ ભેગો આંગળીએ ઉપલેટા કે માણાવદર આંગળી ને વેઢે ગણી શકાય એટલીવાર માંડ ગયો હશે.. બસ ,મોટર  ની મુસાફરી હજી કરી ન હતી પહેલી વાર ટ્રેન ની મુસાફરી તો હજી  તાજેતર માં જ ઉપલેટા થી પોરબંદર કરી હતી, સ્ટીમર માં બેઠો બેઠો  પોરબંદર નો કિનારો જોતો રહ્યો, સરદારગઢ જોજન દૂર થાતું ગયું,  સ્ટીમર માં સાથે કરાચી નો જાણીતો એક જણ  મળી ગયો, થોડી હિંમત આવી પણ અંદર થી બીક હતી  પણ તેનાથી મોટી બીક ધર્મ ચુકી વટલાવા ની હતી, નવી દુનિયા જોવાનો હરખ પણ હતો આમ સુખ અને દુઃખ ની ભેડસેડવી લાગણી માં ને વિચાર માં ઊંઘજ ના આવી, વહેલી સવારે સ્ટીમર નું ભૂંગડું વાગ્યું મુસાફરો માં ગણગણાટ થવા માંડ્યો, જેરામે પણ કરાચી નું જાજરમાન, ઝળહળા બારું જોયું.. મનમાં સફળતાનાં ધબકારા ધગ ધગવા મંડ્યા.. બધાની હારે સ્ટીમર માંથી ઉતર્યો કરાચી ની ધરતી ઉપર પહેલું ડગલું માંડ્યું અને બંદર પાસે ના મંદિર ની ઝાલર વાગી,જાણે  સાક્ષાત ભગવાને જેરામ ને આવકારો આપ્યો.. લાઈનબંધ ઉભેલા માણસો પોતપોતાના વિસ્તાર ના નામ લેતા હતા એવામાં જેરામ ના કાને કચ્છ ખાખર સંભળાયું જેરામ અને પાસે ગયો રામ રામ કરી  બાપુ એ યાદ કરાવેલ  દામાં કાકાનું પૂછ્યું, અજાણી વ્યક્તિ તેને દામાં પાસે લઈ જાય છે ,દામો  બાળપણ ના ભેરૂડાં નું નામ સાંભળી, જેરામ ને ઊંચકી લે છે, ઉમર નું ભાન ભૂલી ફેરફુદરડી ફરવા માંડે છે, જેરામ ના હૈયે હાશકારો થઈ ગયો.!!!
જેરામ ને ઘેર લઇ જઈ , રહેવા જમવાની વ્યવસ્થા કરી એક મારવાડી સોની ની દુકાનમાં કામે રખાવી દીધો.. જેરામ પોતાની કુનેહ આવડત થી શેઠ નો માનીતો થઈ ગયો , જેરામ ને ભાવિ ઉજળું જણાયું, એટલે હજી વરસ પૂરું નથી વીત્યું ત્યાં નાનાભાઈ વલ્લભજી ને તેડાવી લીધો, વલ્લભજી ને પોતાની સાથે કામ શીખવા રાખ્યો,  વલ્લભ ની ગ્રહણ શક્તિ તેજ હોવાને લઇ થોડા સમય માજ બંને ભાઈઓ એ કુશળતા મેળવી લીધી, ઈમાનદારી,નીતિમત્તા , સોના, ચાંદી ની ગુણવત્તા ઉપર નજર રાખી પોતાની નામના  શાખ,આબરૂ પ્રસ્થાપિત કરી, શેઠ ના ચાર હાથ બન્ને ભાઈઓ ઉપર હતા,શેઠ ની સહમતી અને આશીર્વાદ થી પોતાનું સુવાંગ સોની જેરામભાઈ લાખાભાઈ સરદારગઢ વાલા નામ થી કામ ચાલુ કર્યું, જેરામભાઈ ની રમુજવૃત્તિ, વાકછટા થી લોકો પ્રભાવિત થતા, ધીમે ધીમે મોટું સ્નેહી, મિત્રો નું વર્તુળ બનાવ્યું તેમાં પટેલ સમાજ ના મોભી રામજી રાજા પટેલ, ભગવાન રાજા પટેલ, હરિભાઈ પટેલ મુખ્ય હતા, સૌરાષ્ટ્ર ના મોટાભાગ ના વતની ની ખરીદી  સોની જેરામભાઈ લાખાભાઈ સરદારગઢ વાલા ને ત્યાંથી થવા માંડી, બન્નેભાઈ ની સખત મહેનત થી પોતાનું નાનું એવું સામ્રાજ્ય ઉભું કરી દીઘું, નાના માણસો ને ઊપયોગી થવાની ભાવના માતા મોતીમાં માંથી ઉતરી, સરદારગઢ માં લાખાભાઈ નો રોટલો મોટો તેમ કરાંચીમાં જેરામભાઈ નો રોટલો મોટો કહેવાવા મંડયો....તે યુગ માં આફ્રિકા માં કેન્યા, યુગાન્ડા, નૈરોબી,ડરબન કે એડન જીબૂટી,ખાડીના દેશો બાહરિન, દુબઇ,શારજાહ જતી દરેક સ્ટીમર કરાચી થઈ ને જતી કરાચી માં દરેક સ્ટીમર નો બે..થી.. સાત દિવસ નું રોકાણ રહેતું, મોટાભાગના કાઠિયાવાડ ના સોની જેરામ લાખા ને ત્યાં રોકતા જમતા અને કરાચી માં હરેફરે, આવા સંજોગો ને હિસાબે બંને ભાઈ ની ઈજ્જત ,આબરૂ દેશ વિદેશ માં ખુબજ હતી,...
દેશમાં સરદારગઢ માં લાખાબાપા, મોતી માં, નાનો ભાઈ મૂળજી બા, બાપુ ની સેવા માં રોકાયો હતો ,લખાબાપા અને મોતી માં નું જીવન ધાર્મિક આચાર વિચાર માં પસાર થતું હતું પહેલા લાખાબાપા એ ચીર વિદાય લીધી, થોડા સમયમાં મોતી માં નું અવસાન થયું , તેમની અંતિમ ક્રિયા કાંડ કરવા માટે જેરામભાઈ દેશ માં આવ્યા, વિધિ પૂર્ણ કરી અસ્થિ વિસર્જન માટે ગોમતી કિનારે  જેરામભાઈ અને નાનો ભાઈ મૂળજી દ્વારકા આવ્યા,
દ્વારકા પરજીયા સોની જ્ઞાતિ એબન્ને ભાઈઓ નું ઉમળકા ભેર સ્વાગત કર્યું,સોની જેરામભાઈ લાખાભાઈ નું જેતે  સમયે ખૂબ મોટું નામ દ્વારકાનું નાત જમણ કર્યું, બ્રાહ્મણો જમાડ્યા, અને સન્નમાન પત્ર અર્પણ કર્યું, તેસમયે જ્ઞાતિ આગેવાનો એ દ્વારકા માં સોની સમાજ ની ઉતરવા ની સમાજની કોઈ જગ્યા ન હતી તેની રજુઆત જેરામભાઈ સમક્ષ કરી ,  વાત યોગ્ય જણાઈ એટલે..જેરામભાઈ લાખાભાઈ એ છ કે સાત રૂમ ની ઓસરી ઉતાર નળીયા વાળી ડેલીબંધ   વિશાળ જગ્યા પોતાના માતા પિતાના નામે અર્પણ કરી (તે તકતી નીચે ફોટોગ્રાફ માં મૂકી છે)..
માબાપ ના નામે દાન ધર્માદો કરી નાનાભાઈ ને સાથે લઈ કરાચી પરત ફર્યા, નાના ભાઈ મુળજીભાઈ ને પણ પોતાના ધંધા માં સામીલ કરી બન્ને નાના ભાઈ ને મહત્વ આપ્યું વલ્લભભાઈ વહીવટ સાંભળે, મુળજીભાઈ ઘડતર સાંભળે અને પોતે બહારનું ઉઘરાણી  નું કામ અને વહેવાર સાંભળે, જોત જોતામાં  ત્રણ ગણી મહેનત શક્તિ કુનેહ  રંગ લાવી...ના ધારેલી ન વિચારેલી  સફળતા પગમાં આળોટવા મંડી સફળતા આસમાન આંબે પણ પગ ત્રણે ભાઈ ના જમીન પર જ રહ્યા, નાનો ભાઈ મૂળજી અંગ્રેજો થી પ્રભાવિત  હતો પોતાના કાયમી પોશાક મા કોટ,પેન્ટ બુટ, ટાઈ,ને સ્થાન આપ્યું , બન્ને ભાઈ એક બગીમાં દુકાને આવજા કરતા, પણ મુળજીભાઈ માટે પોતની અલગ બગી હતી  ત્યારે હજી મોટર નું પ્રચલન ના હતું..... રઈશ  અને મોભાદાર માણસો પોતાની અંગત બગી રાખતા જેરામ લાખ પરિવાર માં બે બગી રાખી હતી.. ગાંધીજી ની  આઝાદી ની લડત માં ગાંધીજી ના સ્વદેશી આંદોલન થી પ્રભાવિત થઈ મુળજીભાઈ એ અંગ્રેજી પહેરવેશ ને તિલાંજલિ આપી ધોતિયું ખામીશ કોટ અને માથે ગાંધી ટોપી અપનાવ્યા, વલ્લભભાઈ નો સ્વભાવ એ ભલો અને એનો ધંધો ભલો ત્રણે ભાઈ ની સફળતા માં વલ્લભજી નું યોગદાન  ધંધા પર સતત બેસી ધધાં નું તપ કરવું.. જયરે સફળતાની ટોચે હતા ત્યારે  જ...
નસીબે કરવટ બદલી આઝાદી તેના અંતિમ ચરણોમાં હતી,ભારત ને  15 ઓગસ્ટ 1947 ના દિવસે આઝાદી મળી, આઝાદી ની ખુશી સાથે  લાખા લખમણ ના પરિવાર પર ફરીથી એક હિજરત  ના મંડાણ ની તૈયારી થવા માંડી..
પરજાવ થી સિંધ, સિંધ થી  પાટણ, પાટણ થી કચ્છ, કચ્છ થી સરદારગઢ, સરદારગઢ થી કરાચી અને હવે કરાચી થી ભગવાન ભરોસે... આટ આટલી હિજરત કરી પણ ભારત પાકીસ્તાન ભાગલા ની હિજરત ના વિચાર માત્ર થી શરીર આખામાં કમકમાટી પ્રસરી જાય, માણસ ,માણસ ને પળવાર માં ભાજી મૂળા ની જેમ  કાપતા અચકાતો ના હતો,  ઇતિહાસ ની લોહિયાળ હિજરતનો ધોરડા પરિવાર સાક્ષી બન્યો, જેરામભાઈ, વલ્લભભાઈ અને મુળજીભાઈ ને જીવન ની તમામ પરસેવાની કમાણી હિજરતી લોહી માં તણાતી દેખાઈ.. કરાચી માં એંસી ટકા મુસ્લિમ હતા બધા ભાઈચાર થી રહેતા કરાચી માં બિલકુલ ભય કે ડર નું વાતાવરણ નહતું  હિજરતી ને રસ્તામાં કત્લેઆમ કરતા કરાંચીથી કાઠિયાવાડ જાવા માટે દરિયાઈ માર્ગ સલામત હતો માટે રામજી રાજા પટેલે કાઠિયાવાડી માટે સ્પેશ્યલ સ્ટીમરો ભાડે કરી બધાને પરત પોહચાડ્યા,છેલ્લી સ્ટીમર માં ધોરડા પરિવાર અને રામજી રાજા પટેલ નો પરિવાર સાથે રવાના થયો ત્યારે  મુસ્લિમ આડોશી પાડોશી, મિત્રો દુકાન ના  મુસ્લિમ ગ્રાહકો ભીની આંખે  પોતાના હિન્દૂ મિત્રો ને વિદાય આપવા બંદર સુધી આવ્યા હતા, આ ઇતિહાસ ની મોટામાં મોટી અને લોહિયાળ હિજરત ની ઉજળી બાજુ હતી...
નવલખી બંદરે ઉતરી બે દિવસ નિરાશ્રિત કૅમ્પ માં રહ્યા કાઠિયાવાડ માં અમરેલીમાં ઘરનું એક મકાન લીધેલું હતું એટલે અમરેલી આવ્યા.. જેરામભાઈ વલ્લભભાઈ બન્ને એ સાથે વેપાર કરવાનું નક્કી રાખ્યું, જેતપુર માં શરાફ બઝાર માં  મોકાની  દુકાન સોનીજેરામભાઈ લાખાભાઈ કરાચીવાળા  નામથી  ચાલુ કરી...નાના ભાઈ મુળજીભાઈ એ મુળજીભાઈ લાખાભાઈ કરાચીવાળા નામથી રાજકોટ માં રૈયાનાકા ટાવર રોડ પર દુકાન ચાલુ કરી..
જેતપુર માં સોના ચાંદી નો ધંધો ચાલુ કરવો એટલે લોઢાના ચણા ચાવવા બરાબર હતું, આઝાદી સમયે જેતપુર ની સોની બઝારમાં સોરઠીયા વણીકો નો દબદબો કાયમ હતો.
પારેખ વાડીલાલ જીવનભાઈ
પારેખ જગન્નાથ નાથાલાલ
પારેખ વલ્લભદાસ ગોરધનદાસ
વસા હિરચંદ ચત્રભુજ ચોકસી
આમ મોટાભાગે એકજ પરિવારે ચોકસી બજાર નો કબજો લીધેલ હતો , નવો કોઈ વેપારી હિંમત કરી દુકાન કરે એટલે આપરિવાર યેનકેન પ્રકારે તેને ઉઠાડે પાર કરે તેમ છતાં વલ્લભજી લાખાભાઈ એ મોટાભાઈ  જેરામભાઈ લાખાભાઈની મંજૂરી અને આશીર્વાદ થી અશક્ય ને શક્ય કરવાનું બીડું ઝડપ્યું, લાખા લખમણ ની હિંમત ,બહાદૂરી કુનેહ ,વાકપટુતા અને મુતસ્દીગીરી   વલ્લભજી લાખાભાઈ ની રગે રગ માં દોડવા મંડી, એક પછી એક મુતસ્દી પગલાં ભરવા મંડ્યા  સોની જેરામભાઈ લાખાભાઈ કરાચી વાળા નામની દુકાન ચાલુ કરી તેના થોડા સમય માં એક અનુભવી કણબી પટેલ ની સાથે ભાગીદારીમાં કાપડ ની દુકાન ચાલુ કરી " પટેલ કલોથ સ્ટોર " નામ થી ચાલુ કરી લગ્ન સારા નું સોનુ અને કાપડ  એક જ વેપારી પાસે થી મળે એ અનુકૂળતા કણબી ગ્રાહકો ને અનુકૂળ લાગી થોડો વખત9 બંને દુકાન ચાલુ રાખી સોની જેરામભાઈ લાખાભાઈ કરાચીવાળા ની દુકાન જેતપુર તાલુકા અને આજુબાજુ ના સવાસો ગામડામાં જાણીતી થઈ ગઈ એટલે કાપડ ની દુકાન કણબી પટેલ ભાગીદાર ને સોંપી ભાગીદારી છૂટી કરી આમ સોરઠીયા વણિક પારેખ  વેપારી પેઢીઓ એ સોની જેરામભાઈ લાખાભાઈ કરાચીવાળા ની પેઢી ને હરખાતા હરખાતા માન્યતા આપી વલ્લભજી લાખાના પરિવાર ને પારેખ પરિવાર જેટલો જ પણ તેથી એક છોગુ ઊંચું માન મોભો આપ્યો અને વલ્લભભાઈ ને કહ્યું કે આજથી તમે અમારા" સરદાર " આમ વલ્લભજી લાખાભાઈ ને બધા સરદાર તરીકે સંબોધવા લાગ્યા અને ઓળખાવા પણ મંડ્યા.. ગામડા માં પણ તેમની ઓળખ સરદાર તરીકે થવા માંડી..
વલ્લભભાઈ વેપારીતો હતા જ પણ સાથો સાથ ઉમદા માણસ પણ હતા તે ક્યારેય કોઈના દોરવાયા દોરાયા ના હતા ,પોતાના વિચારો ને દ્રઢતા થી વળગી અમલ કરનારા હતા, સાચું કહેવા માં ચમરબંધી ની પણ શેહ કે શરમ ના રાખતા છતાં શરાફ બઝાર માં લોક પ્રિય હતા એટલેતો સરદાર કહેવાતા
કોઈ ધર્મ ના આડમ્બર, ટીલા ટપકા માં વિશ્વાસ ન કરતા, નજીક ના માણસો ને ઉપયોગી  થવામાં વિશ્વાસ કરતા તેઓનો નિત્ય ક્રમ હતો ઘરે થી નીકળે એટલે કોટ ના બન્ને ખીસામાં પરચુરણ ભરેલ હોય  દુકાને જતા જેટલા બાળકો મળે તેને પૈસો કે બેપૈસા ના સિક્કા બાટતા જાય, ખોડપરા માં ભાનુભાઈ  ગઠિયા વાળા ની દુકાને થી  બે શેર ગાંઠિયા કૂતરા ,કાબર અને કાગડાને નાખે, ખડપીઠમાં જઇ ગાયો ને લીલું નાખે પછી જ દુકાને પોહચે.. વલ્લભ ભાઈ ને ક્યારેએ કોઈએ મંદિર માં જોયાનો દાખલો ના મળે તેઓ પોતાની માન્યતા પ્રમાણે જીવ માત્ર માં ઈશ્વર માનતા..
આવા શરાફ બઝાર ના "સરદાર"ના જીવન માં એક ઘટના બને છે...
કારતક માગસર ની સંવનન કાળ ની ઋતુ વેળા એ હુંફાળી ટાઢમાં પૂર્વ દિશા માં ઉગતા સૂર્ય નારાયણની શાખે સમજુ અને તેનો યુવાની માં  પગ મુકતો દીકરો પરસોતમ જેતપુર ની ઉભી બઝારે હાયલા જાય છે, લોહી એક જ છતાં વિચાર અલગ અલગ સમજુ  મધ મીઠો ભૂતકાળ વાગોળે છે , ધણી સાથે પહેલીવાર જેતપુર આવેલી તે મીઠીયાદી ભાદર ના પાણી ની જેમ ખળ ખળ વહી જતી દેખાય છે..જીવન ના કંઈક અરમાનોની વાતું લઇ જેતપુર  ની ઉભી બઝારે હટાણું કરવા આવેલી  સમજુ લાજ નો ઘૂમટો તાણી  ધણી હારે મીઠી મજાક કરતી  મીઠી રકજક કરતી તે ક્ષણે ક્ષણ ની વાતું હૈયા અને હોઠ ની વચ્ચે મૂંગી મૂંગી હડિયા પાટી કરેછે...
તો બીજી બાજુ બાપ સમોવડીયો પરસોતમ પોતાની  ભાવિ ઘરવાળીના શમણાં જોવેછે, ઘરવાળી ને લગન માં ચડાવવાના કપડાં લતા દાગીનામાં બાજુબંધ લેવું કે હાથ નો પોચો લેવો જો માં રાજી થાય તો બેય લેવા નું કહેવું... માં અને દીકરા વચ્ચે મૌન નો સેતુ બંધાયો છે.. એવા  ટાણે જ ઘોડા ના  હણહણાટી અને ઘોડા ગાડી  ના ડાબલાનો અવાજ  બન્નેે વચ્ચે નો મૌન નો સેતુ તોડેે છે.. અને પરસોતમ ના મોઢા માંથી શબ્દો નીકળે છે એ.. મા..., મા ..મા આબાજુ હાલને.. હમણાં ઘોડા ગાડી માં ભટકાઈ જાત.. પરસોતમ ,સમજુ નો હાથ  જાલી પોતાની પાસે ખેંચે છે... પરસોતમ તેની  મા ને  પૂછે છે હે...માં તું વલ્લભ લાખાને ઓળખેતો છે ને..? ઇ તને ઓળખી તો જશે ને.. ?  શેઠ આપણ ને કાઈ કહેશે તો નહીં ને...? પૈસા લાંબો  સમય ચૂકવ્યા નથી તો વઢશે તો નહીં ને... ? સાંભળી સમજુ બોલી વલ્લભભાઈ સોની અમથો થોડો મલક માં "સરદાર"તરીકે પંકાણો  હશે..!!! વલ્લભભાઈ સોની તો લાખેણો માણસ છે, પાઇ નું ખોટું કરે નહીં અને કરવાદૈ પણ નહીં... પોતાનાં ધંધા માં ટેકીલો નિતિવાન અને દયા માયા પણ પુરે પૂરા રાખે... જો દીકરા વલ્લભભાઈ ખંધો અને લુચ્ચો વેપારી હોત તો બાર બાર વરહ રૂપિયા માંગ્યા વગર રહે ખરો...? દીકરા તું શીદ ને ફિકર કરે છે...પ્રૌઢ ઉમર ની સફેદ લટ  લમણે થી સરખી કરતા સમજુ, બોલી... વલ્લભભાઈ એ કયારેય તારા બાપ ને તુકારો તો ઠીક ઊંચા અવાજે વાત પણ નથી કરી.. !!!
માં-દીકરો મીઠી મૂંઝવણ  માં ધરબાતા ધરબાતા ડગલે હાલ્યા જાયછે એધાણે એધાણે ઉજાશ પડતો જાયછે અને રસ્તો મળતો જાય છે..  દોઢ દાયકા પહેલાં નો  જેતપુર ની બજાર નો ઠાઠમાંઠ સમજુ ની અનુભવી નજરે  હજી એવોને એવો વરતાયો   પણ તેની અનુભવી નજરે સોની વલ્લભજીભાઈ લાખાભાઈ ની દુકાન નો રૂઆબ અને મોભો બદલાયેલા લાગ્યો...માં -દીકરો  સંકોચાતા સંકોચાતા દુકાન માં જઈ અંદર બેઠા તેની પહેલા દસેક ઘરાક બેઠા હતા. ચબરાક પરજીયા વલ્લભભાઈ સોની ની નજર પારખી ગઈ કે ઘરાક નવું અને અજાણ્યું છે, દીકરા મનસુખ ને હાથ માર્યો મનસુખ ઈશારો સમજી ગયો.. નવા આગંતુક ઉપર નજર રાખે છે.. અંદર માં દીકરા  ના ચહેરા ઉપર ઓથાર વર્તાય છે..
બે ત્રણ કલાક પછી બધા ઘરાક આટોપી વલ્લભભાઈ નિરાંતે બીડી નો દમ લે છે અને સમજુ ને બોલાવે છે બોલો બેન  બનાવવું છે (લેવાનું છ)ે કે ભંગાવાવનું છે( જૂનું સોનુ વેચવા નું છે).. ઘડીભર પહેલા દાધારીગા ઘરાક ને એની દાધારીગાય માટે ઘઘલાવતા વલ્લભભાઈ નો રૂઆબ અને કડકાઈ અનુભવી હતી એટલે દબાતા અને ગભરાતા અવાજે સમજુ બોલી , પરસોતમ તારા બાપનું નામ કહે પરસોતમ પોતાના બાપ નું નામ બોલ્યો અરજણ લખમણ ગામ ખાનસહેબ નું ખીજડિયા સમજુ બોલી..., શેઠ આજે લેવુય નથી અને વેચવુય નથી, આજથી પંદરેક વરહ પેલા આ છોકરાના આતા તમારે ન્યાથી ઘરેણું લઇ  ગયા હતા ત્રણસો રૂપિયા ઘટ્યા હતા તે બાકી રાખ્યા હતા, બીજેજ વરહે છોકરાના આતા પાછા થયા, "પયડા ઉપર પાટુ "એમ  દુકાળ ઉપર દુકાળ છોકરો નાનો ખેતી માં પેદાશ નહીં ... એ..ટ ..લે ચૂકવી ના શક્યા ,ઓણ સાલ અને પરાર ઉપરા ઉપરી બે વરહ સારા ગયા,  છોકરાના આતા નું કરજ ઉતારવા આવ્યા છીએ... સાડલા ના છેડે ગાંઠ છોડી એક ચબરખી (ભરતિયું ) કાઢે છે અને છોકરાના હાથ માં આપતાં કહે ...શેઠ ને આપ, છોકરો ચબરખી વલ્લભભાઈ ના  હાથ માં આપેછે, ગરવાઈ થી બોલે છે કે આના આતા નું આ છેલ્લુ કરજ હતું આ  ભરતયુ ક્યાંક રહી ગયું હતું ઓણ વરહ મળ્યું એટલે ચુકવણું વરહ મોડું થયુ ,શેઠ વ્યાજ સહિત હિસાબ કરજો મારા આતા પર રતીભાર પણ કરજ નો ભાર નથી રાખવો....   શેઠ. ....,પરસોત્તમ બોલ્યો , મનસુખ ,... પરસોતમ ની ખુમારી સામે જોઈ જ રહ્યો!!!
વલ્લભભાઈ ચબરખી મનસુખ ને આપી કહે છે હીસાબ જોઇ લે, મનસુખે ભરતયુ જોયું ચોવડું અક્ષર ઝાંખા  માંડ માંડ ઉકેલાય રૂપિયા ત્રણસો બાકી પણ અરજણ લખમણ ગામ ખાન ખીજડિયા નામ ચોપડે નથી, કાકા ..(બાપુજી) આપણા ચોપડા માં આ ખાતું ઉધારેલ નથી ત્રણ વરસ ઉપર ના ખાતા માંડવાળ કરી નાખ્યા છે, આતો બાર પંદર વરસ પહેલાનું છે તે માંડવાળ કરી નાખેલું જ સમજો.. બેન શુ કહ્યું તું ..તારું નામ ? બીડી નો દમ લેતા ..લેતા વલ્લભભાઈ બોલ્યા.. સમજુ બોલી મારુ નામ સમજુ અને આ મારો દીકરો પરસોતમ... વલ્લભભાઈ બોલ્યા બેન.. બેટા  સમજુ ,અમારા ચોપડે તમારી પાસે કોઈ પ્રકાર નું લેણું છે જ નહીં એટલે તારે કાઈ લેવું હોય તો બોલ...
સમજુ બોલી એવું તે કઈ હોતું હશે...? તમારો ચોપડો જ સાચો તો અમારું આ ભરતિયું ખોટું  એમ? મારો ધણી ખોટો અને તમે જ સાચા..!!!  બેન સમજુ તું સાચી, આભરતિયું એય સાચું, અમારો  ચોપડો સાચો લેણું  અમારા ચોપડે નાહોય તો હું કેમ કરી લઇ શકું ?  શેઠ  મારે.. મારા ધણી નું ઋણ ચુકતે કરી મોક્ષ અપાવવો છે, શેઠ મારે એને અવગતે નથી મોકલવા.. શેઠ તમે ઘડી વાર પહેલા જમાદાર ની જેમ કડક પઠાણી ઉઘરાણી કરતા હતા અને મારી હારે ત્રાગુ કરો છો ...!!! શરમ નથી આવતી..? બેન અમારી દુકાન ના નિયમ હોય પરંપરા હોય, નેકી ટેકી હોય... અમારી દુકાન નો નિયમ પ્રણાલી છે... "અણહક નું અમે લેતા નથી અને હક નું અમે છોડતા નથી" છતાં તમારો બહુ જ આગ્રહ છે એટલે લઈ લવ છું.. પરસોતમ  બોલ્યો વ્યાજ પણ ગણજો, વલ્લભભાઈ બોલ્યા વ્યાજ નું વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ ગણજો  ભાઈ મનસુખ ...દુકાન માં ક્યારેય પણ આવીરીતે વ્યાજ ગણાયું નથી ,આજે આટલા વર્ષે  પેઢી ની નેકી ટેકી તૂટશે, આજે પહેલી વાર કાકા ઉપર માન ઘટતું  મનસુખ ને જણાયું હિસાબ કરતા મનસુખ ના હાથ ધ્રુજવા લાગ્યા, પણ આદેશ નું પાલન કર્યું ..હિસાબ થયો બારસો રૂપિયા  પુરા એક નયો પૈસો પણ ઓછો નહિ... વલ્લભભાઈ રૂઆબ થી બોલ્યા ...ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર ,સમજુ એ કાપડા માંથી  સો..સો ની  બાર કડકડતી નોટ કાઢી વલ્લભભાઈ ના હાથ માં મૂકી, વલ્લભભાઈ એ નોટ લીધી અને મરમાંળું હસ્યાં, મનસુખે આજોયું તેનું મન કોચવાયું મનો મન પ્રાર્થના કરી ભગવાન અમને આ  પાપ માંથી માફ કરજે આજે  મારા કાકા ને આ શું કમત સૂઝી કે વારસો ની પરંપરા કલમ  ના એક ઝાટકે નેંવે મૂકી દીધી.. !!! કરાચી થી સાચવેલી ઈમાનદારી, નેકી ટેકી નું પડીકું વાળી જેતપુર ની ઉભી બઝાર માં ઘા કરી દીધો.!!!. પણ વલ્લભભાઈ ની મુતસ્દીગીરી કાંઈક બીજું વિચારતી હતી .. વલ્લભભાઈ એ રૂપિયા થડા માં રાખ્યા, ગલ્લો ખોલ્યો તેમાંથી એકસોએકાવન રૂપિયા કાઢ્યા બારસો માં ઉમેરિયા તેરસોએકવન સમજુ ના હાથ માં મુક્તા કહ્યું બેન તને કાપડા ના અને જો તું ના પાડ તો મને મર તો ભાળ.. સમજુ ના ન પાડી શકી...આટલુબધું ના....હોય... વલ્લભભાઈ... સમજુ ની આંખ માં હરખ ના આંસુ આવી ગયા, મનસુખ ની આંખ માં પણ ભેજ વરતાણો , સમજુ મનો મન   હૃદય ના ભાવ થી  વંદન કરી  દીકરા પરસોતમ ને મૌન ની ભાષા માં જાણે કહેતી  હતી કે......વલ્લભભાઈ સોની  ને મલક માં "સરદાર" અમથો અમથો નહીં કીધો...હોય..!!!
વલ્લભભાઈ એ મનસુખ ને કહ્યું ઘેર કહેવડાવી દે કે સમજુ ફૈબા આજે ઘરે જમવા આવશે  "લાપસી ના આંધણ મૂકે"
-----ગુણવંત ધોરડા
       જેતપુર..
      તા 23 જૂન 2020 (અષાઢી બીજ)
પૂરક માહિતી
સાગરકુમાર રાણાભાઈ બારોટ લિખિત પુસ્તક પરજ વંશ પ્રકાશ ભાગ 14 .. કચ્છ નો ઇતિહાસ સંદર્ભગ્રંથ..
અમારા માતુલ્ય ભાભીબા ગંગાસ્વરૂપ સુશીલાભાભી અમરેલી
ફોટોગ્રાફ ની વિગત
1..કપાળ માં તિલક કરેલો ફોટોગ્રાફ વલ્લભજી લાખાભાઈ
2...કાળી ટોપી પહેરેલ ફોટોગ્રાફ જેરામભાઈ લાખાભાઈ
3....સફેદ ગાંધી ટોપી પહેરેલ ફોટોગ્રાફ મુળજીભાઈ લાખાભાઈ
4...કરાચી ની દુકાન નું જેતે સમય નું બીલ સૌજન્ય દિલીપ (રાજુ) મગનભાઈ ધોરડા અમરેલી
5...દ્વારકા માં જેતે સમયે આપેલ દાન ની તકતી.. જે હાલ નવી બનેલ વાડી માં પણ છે.. સૌજન્ય હિરેન ઘઘડા દ્વારકા
6... પ્રખ્યાત વાર્તાકાર, નવલકથાકાર નાનાભાઈ હ. જેબલિયા એ જેતે સમયે દિવ્યભાસ્કર દૈનિક માં પોતાની કોલમ તોરણ માં લખેલ વલ્લભભાઈ ની  સત્યઘટના આધારિત વાર્તા..
7..કરાચી માં અમારું નિવાસસ્થાન "રાજા મેનશન" જે રામજી રાજા પટેલ અને ભગવાન રાજા પટેલે બનાવેલ જે હાલ કરાંચીમાં પોલીસ રહેઠાણ છે વધુ વિગત લોકડાઉન શ્રેણી..9 પુરુસાર્થ ની પાંખે રામજી રાજા માં આપેલી છે
8... લાખા લખમણ ધોરડા પુત્રો ની પ્રગતિ જોવા કરાચી  મુલાકાતે આવેલા ત્યારે જેરામ લાખા ધોરડાએ તેમના સન્નમાન માં નાત જમણા રાખેલ ત્યાર ની જ્ઞાતિ આગેવાનો ની તસ્વીર ત્યરે કરાંચીમાં પરજીયા પટણી સોની ના 250 ઉપરાંત પરિવાર હતા...
નોંધ....જેરામભાઈ લાખાભાઈ ધોરડા અમરેલીનો પરિવાર..અમરેલી, અમદાવાદ,ઔરંગાબાદ મહારાષ્ટ્ર હાલસ્થિત છે
વલ્લભજી લાખાભાઈ ધોરડા  જેતપુર નો પરિવાર...
જેતપુર, રાજકોટ,મુંબઈ, કેનેડા,લંડન હાલ સ્થિત છે..
મુળજીભાઈ લાખાભાઈ ધોરડા  રાજકોટ નો પરિવાર..
રાજકોટ,અમરેલી ,મુંબઈ હાલ સ્થિત છે

No comments:

Post a Comment