અત્ર.. તત્ર..સર્વત્ર..ગાઠીયા..
જયાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ હશેજ(હોયજ) ગાઠીયા...
સૌરાષ્ટ્રનું એકમાત્ર લોકવ્યનજન એટલે ગાઠીયા...સૌરાષ્ટ્રના નાનામાં નાના કસ્બા કે ગામડાથી લઇને લંડનના લેસ્ટર સુધીગુજરાતી પોતાની સાથે સાથે પોતાની આગવી ઓળખ ગાઠીયા લેતો ગયો..અને ત્યાંના પ્રાદેશિક લોકો ને ચસ્કો લગાડતો ગયો..સૌરાષ્ટ્રના આર્થિક રીતે નબળા લોકો ની જરૂરિયાત (બાળપણના સમયમાં મહેનતકશ માણસો ને મેં ગાઠીયા સાથે ગોળ ખાતા જોયા છે તેમાંથી તે શક્તિ મેળવી મહેનત ના કામ કરતો)અને સામાન્યથી..સમૃદ્ધલોકો નું મોભા નું પ્રતિક છે આ ગઠિયા.સૌરાષ્ટ્રનું એકપણ પરિવાર એવો નહીં હોયકે જેના ઘરમાં અમુક-અમુક દિવસે અકારણ ગાઠીયા ખવાતા નહીં હોય.
![]() |
| Fafda -Pata-Gathiya |
ગાઠીયા વ્યન્જનોમાં પારસી કોમ જેવા છે,જેમ પારસી કોમ દૂધમાં સાકર ભળે તેમભળી જાય તેમ ગાઠીયા ગમે તે વસ્તુ સાથે સહજતા થી ભળી જાય..તીખામાં-તીખા મરચા હોય..મધ મીઠી જલેબી..બટેટાની ચિપ્સ હોય ..ડુંગળી હોય..લાડવા હોય..બરફી કે પેંડા હોય સાંભરા પછી તે ચીભડા કોબીજ..ગાજર કે કાચા પોપૈયાનોહોય ..ઘરે જ્યારે પરિવાર સાથે ગાઠીયા ખવાતા હોયત્યારે..ટાઢી રોટલી ..ભાખરી ..કે રોટલા સાથે ચા ની ચૂસકી સાથે લોકો મોજથી ખાય છે..
![]() |
| Valena-Gathiya |
ગાંઠિયાની સંગત અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારની હોય છે.પરંતુ ગઠિયા સાથે મરચાની સંગત સર્વવ્યાપી છે.."ગાઠીયા મરચા' એટલે "સીતારામ" "રાધ કૃષ્ણ" " ખેમરો લોડણ" "હિર રાઝા" સિરી ફરહાદ"જેવી જોડી..
પુણ્ય કમાવા માટે જેમ પશુ ને લીલો ઘાસચારો ખવડવામાં આવેછે તેમ .કાગડા કૂતરાને ગાઠીયા ખડવામાં આવેછે..
હું નાનો હતો ત્યારે મારા કાકા(બાપુજી)સાથે શાક લેવા જતો ત્યારે અમારા ઘરથી શાકમાર્કેટ જતા રસ્તામાં ખોડપરા મેઈન રોડપર શંકરની દેહરી પાસે ભાનુંશંકર પંડ્યા (ભાનુભાઈ કંદોઇ) ની દુકાન આવતી ત્યાંથી એક રૂપિયા ના પાકો શેર એટલે આજના કિલો થાય કાચોશેર એટલે 500 ગ્રામ દશાંશ પદ્ધતિ ત્યારે અમલ ના હતી.. મારા કાકા ખરીદતા અને ભાનુભાઈ થાળ માં જેટલા ગાઠીયા હોય તે બધા ટાઢા ગાઠીયા આપી દેતા ...!!! ...અમે બધા કાગડા કૂતરા ને ખવડાવતા...અને ભનુભાઈ ગરમ ગરમ ગાઠીયા ઉતારવાની શરૂઆત કરતા..ત્યારે જે ચણાના લોટ હિંગ અજમાંની વરાળ ની સુગંધ આવતી જે અત્યારે પણ મન બાગ બાગ કરી મુકેછે... !!!
પહેલાના સમયમાં ગરમ ગાઠીયા નો નક્કી કરેલો સમય રહેતો હતો.. ત્યારે જ મળતા હતા..
ધોરાજી ગામથી રાતે 12 વાગ્યે કે 2 વાગ્યે પણ ગરમ ગરમ ગાઠીયા મળવાની પ્રથા ચાલુ થઈ જે ધીમે ધીમે આખા સૌરાષ્ટ્રમાં પ્રસરી ગઈ..એટલેજ રાત્રી ગાઠીયા બાઝરનું પિતામહ ધોરાજી જ ગણાય..
એટલેજ આજે સૌરાષ્ટ્રમાં ગરમ ગાઠીયાનું જ પ્રચલનછે..નામી ગાંઠિયાની દુકાને તૈયાર ગાઠીયા મળે જે લાંબો સમય ડબામાં ભરી રાખી શકાય અને ખાઈ શકાય...બાકીના રેંકડી ના તાજે તાજા ખાઈ શકાય જે સાચવી લાંબો સમય રાખી ના શકાય.. નામી દુકાનના ગાઠીયા ધીમા તાપે સંપૂર્ણ તડવામાં આવે ...જયારે રેકડીમાં ઝડપથી તેલમાં તળી કાઢી લેવામાં આવે એટલે તે ગાંઠિયા વરાળથી બફાઈ જાય.. રેકડીનો ગાઠીયા "તળેલા બાફેલા" ગાઠીયા કહેવાય..હૃદય રોગના દર્દી માટે આ ગાઠીયા શ્રેષ્ઠ ગણાય..અત્યારે બઝાર માં બાલાજી..ગોપાલ એવન જેવી કંપની ના 50..100..ગ્રામ થી લઇ એક કિલોના ફ્રેશ પેકીંગ મળે છે..
છેલ્લામાં છેલ્લા ગાઠીયા સુધી ગરમ ગાઠીયાનોસ્વાદ લેવાની રીત કે કળા મારા પારિવારિક મિત્ર કિશોર મશરૂ પાસે થી શીખવા મળી ... જ્યારે પાંચ -સાત મિત્રો ખાવા જાવ ત્યારે 750 ગ્રામ ખાવા છે ત્યારે રેકડીવાળા ને 150 ગ્રામ નો ઓર્ડર આપે ત્યરે કહે કે 150..150 ગ્રામ ચાર વાર બનાવ પાચમીવર પૂછી લે જે જરૂર હોય તો બનાવડાવે નહીતો પૂરું..આમ છેલ્લા ગાઠીયા સુધી ગરમ ગાઠીયા ખાવા મળતા..
આમ જોવા જાઈયેતો ગાઠીયાના મૂળ તત્વ પાણી,ચણાનો લોટ,સીંગતેલ(કોઈપણ તેલ ચાલે પણ ઉત્તમ સીંગતેલ છે),મીઠું,ખારો, સંચળ.. વધારાના સ્વાદ માટે અજમાં,મારી આખા,મરીનો પાવડર,લાલ મરચાનો પાવડર..હમણાં હમણાં મેથીની ભાજીનો પણ ઉપયોગ સ્વાદ માટે કરવામાં આવેછે..ગાઠીયા ના અનેક પ્રકાર છે વણેલા ગાઠીયા,ફાફડા,પાપડી ,ભાવનગરી, તીખા ગાઠીયા ચંપાકલી, અંગૂઠિયા(જે પ્રકાર નામશેષ થઈ ગયેલ છે)પરંતુ તેમાં મૂળ તત્વો તો સરખાજ છે ફેર માત્ર પ્રિપેરેશન નોજ છે..જેને કારણે બધા પ્રકારના ગાઠીયા નો સ્વાદ અલગ -અલગ લાગેછે.
સમય જતાં સમય અનુસાર મોટાભાગ ના ગાઠીયા જેવાકે ભાવનગરી,જારાની પાપડી ,વણેલા ગાઠીયા,ફાફડા મશીનથી બનવા લાગ્યા છે..પરંતુ હાથેથી બનાવેલ ગાઠીયા જેવો સ્વાદ તેમાં મળતો નથી..
ગાઠીયા બનાવવા એકજાતની આવડત છે.અને ગાંઠિયા બનાવવામાટે ધીરજ સહ કુશળતા માગીલે તેવું છે,એટલેજ ખાસ જગ્યા અને દુકાનના ગાઠીયા વખણાય છે...બીજા કરતા અલગ પણ પડે છે.. સૌરાષ્ટ્ર અને ગુજરાત ના ગાઠીયા નો સ્વાદ અલગ પડે છે...સુરેન્દ્રનગર પછી ગાઠીયા નો સ્વાદ બદલાતો લગે..
સૌરાષ્ટ્રનો કોઈ પણ ધર્મ,જાતી કે વર્ગનો માણસ મૃત્યુ શૈયા પર હોય...તેમની અંતિમક્ષણ આવી પોહચી હોઈ,અને તેમને પૂછવામાં આવેકે તેમની અંતિમ ઈચ્છા શુ ખાવા ની છે..તો તરતજ કહેશે કે "ગાઠીયા ખાવા છે"મારો એક મિત્ર જે ગાઠીયા પ્રેમી છે તે તેના થી પણ આગળ વધી કહે છે કે આવી પરિસ્થિતિમાં કોઈ માણસ પાસે બે વિકલ્પ મુકવામાં આવે એક વિકલ્પ સ્વર્ગ અને બીજો ગાઠીયા તો હું બેધડક કહું કે ગાઠીયા..કારણ ગાંઠિયાની ગેરંટી છે ,..!!!ગાઠીયા ખાવાથી સ્વર્ગ નો આનંદ મળશે..!!!પરંતુ મરણ પછી સ્વર્ગ મળશે કે નહીં તેની કોઈ ખાત્રી નથી...
ગાઠીયા પાસે થી એક શિખામણ મને મળી છે કે આપણી આવડત અને ક્ષમતા વગર કોઈના રવાડે ચડવું નહીં,મારા જીવનની એક યાદગાર ઘટના મને બરાબર યાદ છે..મારા સાઢું ભાઈ નરેન્દ્રભાઈ સાગર ખુદ સિવિલ એન્જીનયર છે છતાં રસોઈ કાળા ના પૂર્ણ જાણકાર છે અમે જયારે તેમનાઘરે મોડે સુધી બેઠા હોય ત્યારેતેઓ અમને બધાને ગરમા ગરમ ગાંઠિયાપોતાના હાથે બનાવી ખવડાવે..
એમનેજોઈ ને મને પણ મન થયું કે હું પણ મારા હાથે ગાઠીયા બનવું..રેસિપી લીધી મીઠું ,સોડા ખારો તેમના માપના પડીકા બાંધ્યા અને બીજે દિવસે સવારે ધર્મપત્ની ને આશ્ચર્યચકિત કરીદેવના ધખારા સાથે તે સ્નાન કરવા ગઈ અને મારું "અભિયાને ગાઠીયા" શરૂ કર્યું..રેસિપી પ્રમાણે બધું કર્યું અડધો કિલો લોટ બાંધ્યો.. ગાઠીયા વણી તૈયાર કર્યા.. તળિયા તો ગાઠીયા લાલ ચોળ.. એટલામાં શ્રીમતીજી નું રસોડામાં આગમન થયું..બંન્ને ની નજર એક થઇ.. શ્રીમતીજીને બદલે આશ્ચર્યચકિત હું થયો..મેં શ્રીમતીજી ને પૂછ્યું આમ કેમ થયું ...!!! મને કહે આઘા જાવ, પછી પૂછ્યું કે શું નાખ્યું મેં કીધું અડધો કિલો લોટ..અને..નરેન્દ્રભાઈ એ આપેલ પડીકા પ્રમાણે મીઠું અને ખારોસોડા.. મને કહે "જેનું જે કામ હોય તે કરાય" ગાઠીયા ખરા ધુધવા જેવા મોઢામાં નાખી ના શકાય તેવા..!!! અમે બન્ને એ નક્કી કર્યું કૂતરા ને ખવડાવી દયે.. કૂતરાને બોલાવી નાખ્યા..મારી દયાજનક પરિસ્થિતિ ત્યરે થઈ કૂતરાં સૂંઘી.. સૂંઘી ને ચાલતા થયા.!!!.ગાય ને ખવડાવવા માટે ગાય ને બોલાવી ગાય હરખે હરખે દોડતી આવી હું પણ હરખાણો..!!!કે ગાઠીયા ની મેહનત નકામી નહીં જાય.. પણ હરખ ક્ષણજીવી નીકળ્યો ગાય પણ માત્ર મોઢું નીચું નમાવી જોઈ ને હાલતી થઈ.. !!!બાજુ માં એક મંદિર હતું તેના પીપળા ના ઝાડમાં કાગડા રહે હું "કાગ ભરોસે" ત્યાં ગયો કાગડાને ગાઠીયા નાખ્યા કાગડા નીચે આવ્યા,આશા ઠગારી નીવડી ..!!!કાગડા નિરાશ થઈ પાછા કા..કા..કરતા ઝાડપર ગયા..અને હું નિરાશ થઈ વીલે મોઢે ઘેર આવ્યો..!!!મોઢું જોઈ શ્રીમતીજીએ પૂછ્યું શુ થયું આમ આવું મોઢું કેમ કરો છો..!!!મેં કહ્યું ગાય.. કૂતરા..કેે કાગડા કોઈ એ નાં ખાધા. મેહનત પાણી માં ગઈ..!!!
આ ગાઠીયા અભિયાન ઉપરથી શીખવા મળ્યું કે "આપણી ચાંચ ડૂબતી ના હોય તેવું કાર્ય કરવા માટે પ્રયત્ન ના કરવા"
---------ગુણવંત ધોરડા
જેતપુર
પુનરાવૃત લેખ તા. 9 મેં 2020


















