Saturday, May 16, 2020

મને કેમ સાંભરે રે...? .તને કેમ વીસરે રે...?

કોઈ પણ શહેર,નગર,કે ગામ ની સંસ્કૃતિ, સંસ્કાર ,  રીત-ભાત, જાણવી હોય તો તે ગામની શિક્ષણ વ્યવસ્થા શૈક્ષણિક  સ્થાપત્ય,આરોગ્ય વ્યવસ્થા આરોગ્ય સ્થાપત્ય, નો અભ્યાસ કરો,  આપોઆપ જણાય જશે..
Haji Dawood Hospital- Jetpur
અમારા જેતપુર માટે તો આ વાત સો એ સો ટકા એક સદી થી તો સચી જ છે તેને આપણે બે યુગ માં વેચી શકીએ, આઝાદી પહેલા નો યુગ અને આઝાદી પછીનો યુગ, આપણે વાત કરવી છે આઝાદી પહેલાના યુગ ની આમતો વાત ઘણી લાંબી છે  પણ ટુકમાં કરવી છે..  જેતપુર મા નાના મોટા રજવાડા જેવા અનેક પરિવારો હતા જેને લઇ જેતપુર ની શાખ, શાનો-શૌકત દેશ વિદેશ , હિન્દીસ્તાન ના રાજા રજવાડા,સુધી તો હતીજ પણ બ્રિટિશ રાજ માં પણ હતી,
આવા પરિવાર માં શિર મોર પરિવાર બાવાણી પરિવાર , તેમના મોભી બાવાભાઈ જે મોરબી રાજ્ય ની દીવાન પદ શોભાવી ચૂકયા હતા,ત્યાંથી ફારગત થઈ જામનગર વસવાટ કરતા હતા, બાવાભાઈ  જેતપુર માં જૈતા વાળા ના સમય માં રાજના આમંત્રણ થી દીવાનપદુ સંભાળવા અને શોભવવા આવેલા ,સમય અઢારમી સાદી નો ઉત્તરાર્ધ , જેતપુર આવી વસ્યા સાથે તેમના સગા વ્હાલા અને કોમના ઉમદા માણસો પણ આવી ઠારી -ઠામ થયા.. બાવાભાઈ નો વંશજ બાવણી તરીકે ઓળખાયા..  આવા હોશિયાર કુનેહ બાજ પરિવારમાં સમય જતાં હાજી દાઉદ નો જન્મ થયો તેમને ત્યાં 1880 માં આદમજી નો જન્મ થયો "મોરના ઈંડા ચીતરવા ના પડે" તે કહેવત પ્રમાણે તેઓ નાની ઉંમરે  પિતાના વ્યવસાય માં મદદ કરવા  બર્મા ના રંગુન ગયા ત્યાં પોતની કુનેહ આવડત મહેનત થી પોતાનું સામ્રાજ્ય ખડું કર્યું . મોટાભાગે બર્મા માં રહેવું પડતું હતું ,કલકત્તા માં ઉદ્યોગ નો વિકાસ કર્યો બિરલા પછી બિરલાથી પણ મોટી અને આધુનિક શણ મિલ સ્થાપી ગુણીયાવાલા શેઠ તરીકે વતનમાં ઓળખવા મંડ્યા... દેશ વિદેશમાં ખ્યાતિ છતાં પણ પગ જમીન ઉપરજ રહ્યા. વતન જેતપુર કાયમ મન માં જ રહ્યું , દરેક નાના મોટા ,સારા માઠા  પ્રસંગ જેતપુર આવીનેજ ઉજવે.. એ પરંપરા બધા મેમણો પાડતા..
આદમજી બાવણી શેઠ  ને ત્રણ સંતાનો અબ્દુલ હમિદ, ગુલમોહમદ, અને પુત્રી ઝુંબેદા..  1926 મા મોટા પુત્ર અબ્દુલ હમિદ નાં શાદી નિકાહ માટે રંગુન થી  જેતપુર આવ્યા.. ધામે ઘૂમે શાદી સંપન્ન કરી આ શાદી નિકાહ ની કાયમી યાદગીરી જળવાઈ રહે તે માટે દાન ,ધર્માદો, ખેરાત રૂપે મોટી ખેરાત ની જહેરાત કરી સર આદમજી પોતાના વાલીદ ની યાદમાં પોતાના ધર્માદા ટ્રસ્ટ "આદમજી હાજી દાઉદ એજ્યુકેશનલ એન્ડ મેડિકલ સોસાયટી" નામે હતું જ એ  ટ્રસ્ટ વોરાવાડ જેતપુર માં "હાજી દાઉદ  ડિસ્પેનસરી ચલાવતું  હતું તેનો વ્યાપ વધારી  ડિસ્પેન્સરી ને હોસ્પિટલ માં તબદીલ કરી  71000 ચો મીટર , એટલે લગભગ 50 વીઘા આસપાસ ની   વિશાલ જમીન માં સૌરાષ્ટ્ર માં સૌ થી મોટી  અદ્યતન હોસ્પિટલ  નું બિલ્ડીંગ ઉભું કરવામાં આવ્યું  ત્યાર પછી બરાબર 15 વર્ષે અંગ્રેજ સરકારે જેતપુર માં બગીચા સામે 1941 માં સર એડમન્ડ ગીબસન ના નામે  આઠ થી દસ ઓરડા (વોર્ડ) ની હોસ્પિટલ શરૂ કરી ..મારો જન્મ પણ 13 ડિસેમ્બર 1953 માં હાજી દાઉદ હોસ્પિટલ માં થયો છે.. આ હોસ્પિટલ ની એક માત્ર યાદી રૂપે ફોટોગ્રાફ ઝાંખો તો ઝાંખો તેની ભવ્યતા કેવી હતી તેનો ખ્યાલ આવે તે માટે મૂકયોછે. આવીજ બીજી ઘટના અને યાદી સર આદમજી પરિવાર તરફથી 1941 માં ફરીથી બાવણી પરિવારમાં શાદી નિકાહ નો પ્રસંગ નાનો પુત્ર ગુલમહમદ અને પુત્રી ઝુંબેદા નો આવ્યો તે પ્રસંગ રંગેચંગે ગામ સમસ્તે  ઉજવ્યો તે સમયે સર આદમજી  હાજી દાઉદ પરિવાર ની ખેરાત ,દાન, ધર્માદા પ્રસંગ ની યાદ રૂપે સર આદમજી મુસ્લિમ હાઈસ્કૂલ નું જેતપુર ને નઝરાણું મળ્યું..
આ હોસ્પિટલ  માં લગભગ પચાસેક રૂમ હતા, બે આધુનિક સગવડતા  વાળા ઓપરેશન થેઈટર હતા,  ધોરાજી રોડ પર ફેનસિંગ દીવાલ હતી રોડ ઉપર બે દરવાજા હતા  ત્યાં પગી બેસતા..  હોસ્પિટલ નું બિલ્ડીંગ  ઓરસ ચોરસ બનેલું હતું,બધા રૂમ અને વોર્ડ ચારેબાજુ ખુલા અને બંને બાજુ ઓસરી હતી  સંપૂર્ણ વાસ્તુ પ્રમાણે બનાવ્યું હોય તેવું  બિલ્ડીંગ ની  ફરતે ચારે બાજુ લીમડા ના મોટા મોટા વૃક્ષો ઉગાડેલ હતા, તે હોસ્પિટલ ને નયનરમ્ય બનાવતા , લીમડો આરોગ્યની દ્રષ્ટિ એ શ્રેષ્ઠ  તો ખરોજ પણ મુસ્લિમ ધર્મમાં પવિત્ર વૃક્ષ માનવામાં આવે છે ,  એટલે હોસ્પિટલ નું વાતાવરણ  પણ પવિત્ર લાગતું,
આવી હોસ્પિટલ નો  સ્ટાફ પણ એટલોજ પવિત્ર અને તજજ્ઞ હતો જેમાં  આયરીશ લેડી ડોકટર મિસ. એમ. ઇ. બોન્ડ,  ડો. ખાન ,ડો. આર. બી. વછરાજાની, ડો. ડી. બી. કોઠારી મુખ્ય હતા, આયા બેનો માં  અનસૂયા બેન, દયાબેન મુખ્ય હતા,
હોસ્પિટલ ની પછવાડે વોહરા વોકળી નામે  વોકળી હતી જેનું ઉદગમ સ્થાન જેતલસર જંકશન ની બાજુમાં જે રેલવે ના પાટે પાટે વહેતી વહેતી ધરમ વાડી પાસે થી મુસ્લિમ જીમખાના આજની જયન્ટસ સ્પોર્ટ્સ ક્લબ પાસે થી પસાર થઈ હોસ્પિટલ પાસે વિશાળ  અને રળિયામણું રૂપ થતું , ત્યાંથી આગળ વધી  આજના કણકિયા પ્લોટ ની બાજુ માં થઈ નાજા વાળા પરામાંથી પસાર થઈ ભાદરને મળે છે.. આવોકળી ની લઈ હોસ્પિટલ  નો પાછળ નો ભાગ પણ એટલોજ રળિયામણો લાગતો.
આહોસ્પિટલ ની ભવ્યતા તો નજરે જોઈ હોય તોજ ખ્યાલ આવી અમે સમજણા થયા ત્યારે હાજી દાઉદ હોસ્પિટલે બંધ થઈ ગઈ હતી. છતાં અમારા ઘર થીનજીક હોય, બા, બહેનો કે ભાભી સાથે કપડાં ધોવા વોહરા વોકળી માં  આવીએ ,ત્યારે  વોકળી માં નહીં નવરા પડીએ ત્યારે હોસ્પિટલ માં આટા મારી એ ,ફરતા રૂમ બન્ને બાજુ દસેક ફૂટ વીશાળ પરસાળ  હવા ઉજાસ , મોટી બારી , દરવાજા પણ તોતિંગ તેમના   નકૂચા ,આગળીયા તમામ મેં તમામ પિત્તળ ના હતા ,ઉપર ની છત પણ  લગભગ 14 ફૂટ જેવી ઊંચી, ત્યારે સ્લેબ ની વ્યવસ્થા કે અનુકૂળતા નહીં હોય એટલે સાગ ની પીઢડી ઉપર રાણાવાવ ના કનેરા, નીચે ફર્શ માં શાહબાદી લાદી, હજી ટ્યૂબ લાઈટ નહોતી આવી એટલે બલ્બ લટકતા  ખુલી  પરસાળ માં ગોળાઈ વાળા જરૂખા બિલ્ડીંગ જમીન થી દોઢ માંળ ઊંચું લાગે આખા બિલ્ડીંગ નું અડધો માળ જમીન ની અંદર હતો દસેક પગથિયાં ચડી પરસાળ માં જવાતું, ભોંય તળિયા ના રૂમો સ્ટોરજ અને અમુક અલાયદા વ્યવસ્થા ના રૂમો હતા, ત્યાં જર્મની અને ઇંગ્લેંડ થી મગાવેલ આધુનિક ટેકનોલોજી વાળી મશીનરી  ગોઠવેલી હતી. બિલ્ડીંગ ની વચ્ચે ના ભાગ માં વિશાળ બગીચો, વચ્ચે ફુવારા , દર્દી ને  તથા સગાવાલાને બેસવા બાંકડા હતા.. બિલ્ડીંગ ફરતે મોટી સખ્યાં માં લીમડાના ઝાડ યુરોપ ની અવન્યુ નો ભાસ ઉભો કરતો જેતે સમયે  સૌરાષ્ટ્ર ની શ્રેષ્ઠ હોસ્પિટલ  માં હાજી  દાઉદ હોસ્પિટલ ની ગણના થતી હતી.
આ હોસ્પિટલ ની જરૂરિયાત માં સંપૂર્ણ સ્વાવલંબી હતી, હોસ્પિટલ ના  પાછળ ના ભાગમાં વિશાળ કૂવો હતો હોસ્પિટલ ના ઊંચાણવાળા ભાગ માં ધોરાજી રોડ ના દરવાજા પાસે એક   લોખંડ નો મસમોટો ટાંકો હતો  તેમાંથી આખી હોસ્પિટલ માં  દરેક રૂમ માં , ડૉક્ટર ક્વાર્ટર, સ્ટાફ ક્વાર્ટર ને ચોવીસ કલાક પાણી ની સપ્લાય થતી હતી, હોસ્પિટલ બની ત્યારે જેતપુર માં લાઈટ (ઇલક્ટ્રિસિટી) નહોતી ત્યારે  હોસ્પિટલ ની પોતાની વ્યવસ્થા માટે પછળ ના  ભાગે એક પાવર હાઉસ બનવવામાં આવ્યું હતું, તેની બાજુમાં પોસમોર્ટમ  બહાર ની માટે નો રૂમ હતો, હોસ્પિટલ ની સામે ડો .વછરાજાની સાહેબ નો બંગલો પોતાની માલિકીનો હતો, હોસ્પિટલ ના  ડાબી બાજુ મુસ્લિમ જીમખાના હતું ત્યાં ડોકટર તથા નર્સ આયા તથા અન્ય ના ક્વાર્ટર હતા  દરરોજ  ત્યા તથા આખા મેદાનો ની સફાઈ થતી .
બે દસકા ઉપર આ હોસ્પિટલ અવિરત લોકો નો સેવા કરતી રહી જેતપુર ના તે સમયે જન્મેલા બાળક ને માતા ના હાથ ના સ્પર્શ પહેલા ડો મિસ બોન્ડ જે "મેમ સાહેબ"તરીકે ઓળખાતા તેના હાથનો થયો હશે..
કમનસીબે બે દાયકા ની સતત સેવા બાદ કોઈ અગમ્ય કારણોસર હોસ્પિટલ એકાએક બંધ કરવામાં આવી જેતપુર ના એક યશસ્વી પ્રકરણ નો વિલય થયો. તેમના નામાંકિત ડોક્ટર મિસબોન્ડએ પોતાની ખાનગી પ્રેક્ટિસ કેપિટોલ સિનેમા સામે મેડી ઉપર ચાલુ કરી,  તેઓ મેમસાબ તરીકે લોકોના મનમાં છવાયેલા રહ્યા તેઓ સફેદ ગોઠણ સુધી નું યુરપિયાન લેડી પહેરે તેવું ફ્રોક પહેરતા તે જેતપુર ની  આરોગ્ય ની દેવી" ધન્વંતરિ દેવી " હતાં, ડો. આર. બી. વછરાજાની તેઓ એ પોતાની ખાનગી પ્રેક્ટિસ મહાત્મા ગાંધી રોડ (જૂનો અમીવાલા માર્ગ ) ઉપર એક મોટા ડેલામાં શરૂ કરી તે જગ્યા અત્યાર સુધી જાની સાહેબ ના ડેલા તરીકે ઓળખાતી..  જાની સાહેબ  કાયમ સફેદ શર્ટ પેન્ટ ઇનશર્ટ અને બ્લેક પાતળો પટો પહેરતા તેમની પર્સનાલિટી ફિલ્મી હીરો રાજેન્દ્ર કુમાર જેવી હતી ,તેઓ દયાળુડોક્ટર તરીકે ખ્યાતિ પામ્યા ,ડો. ડી. બી. કોઠારીએ પોતાની પ્રેકટીસ ખોડપરા મેઈન રોડ શંકર ની દહેરી પાસે ચાલુ કરી તેઓ સતત ચિરૂટ પીતા.. તેઓ હંમેશા પેન્ટ  ઉપર હાફશર્ટ  પહેરતા ,તેઓ પસે મોટાભાગે બાળકો ના ઈલાજ માટે જતા ,.. તે યુગ ના ડોક્ટર દેવદૂત ના દરજે હતા....
સર આદમજી હાજી દાઉદ ને ભારત છોડવાના કારણો માં મહમદ અલી જિનહા સાથે ના ઘનિષ્ટ અને પારિવારિક સંબધો1928 માં તેમની  પ્રથમ મુલાકાત દિલ્હી માં થઈ બંને એક બીજાથી પ્રભાવિત થયા બંને ના હૃદય માં હિન્દ ના મુસ્લિમ ની ખેવનાના બીજ રોપાયા. બિરલા આઝાદી ની ચળવળ માં ગાંધીજી દ્વારા ફંડ આપતા, સર આદમજી જીન્હા દ્વારા આઝાદી ની ચળવળ માં ફંડ આપતા..હતા. એટલે વિઠ્ઠલભાઇ પટેલે 1929 માં કલકત્તા મુકામે બિરલાજી ના અધ્યક્ષ સ્થાને  મળેલી સભામાં બોલતા કહ્યું , કે ,હિન્દુસ્તાન જો આદમજી જેવા એક ડઝન ઉદ્યોગપતિ પેદા કરી શકેતો આઝાદી હાથવેંતમાં જ છે.. આપણને  આઝાદી વહેલી મળે તેવું મારુ માનવું છે..આમ સર આદમજી , બિરલાજી સાથે આઝાદી ની ચળવળ માં બિરલાજી જેટલાજ આર્થિક સહયોગી રહ્યા હતા, ચળવળ ની આર્થિક સંકડામણ માં અડીખમ ઉભજ રહ્યા
1947 માં ભારત પાકિસ્તાન વચ્ચે બટવારા  દરમ્યાન ભારત પાકિસ્તાન વચ્ચે 55 કરોડ પાકિસ્તાન ને ચૂકવવાના થતા હતા તે રોકી રાખ્યા ગાંધીજી ઉપવાસ પાર ઉતર્યા હતા . તે સમયે પાકિસ્તાન ની હાલત કંગાળ થઈ હતી , તેવા કપરા સમયે સર આદમજી  પોતાના મિત્ર   જિનહા પાસે કોરો ચેક લઇ ને ગયા હતા, પોતાના પાકિસ્તાન  ને બચાવવા વિનંતી કરી હતી, જિનહા એ તેને પાકિસ્તાન ના "ઉદ્યોગ પિતામહ" કહ્યા .. હતા
21 જૂન 1938 ના રોજ બ્રિટિશ સરકારે "નાઈટ હુડ"એટલેકે સર નો ખિતાબ આદમજી હાજી દાઉદ ને આપ્યો ત્યારથી સર આદમજી હાજી દાઉદ કહેવાયા, 25 જાન્યુઆરી 1948 ના રોજ પોતાની મહેનત થી પોતાની વગ થી, પોતાનું મોટું ભંડોળ રોકી "સ્ટેટ બેક ઓફ પાકિસ્તાન " સ્થાપના કરી, 26 જાન્યુ. 1948 હૃદય રોગ નો હુમલો આવ્યો, હુમલો જીવલેણ નીવડ્યો 27 જાન્યુ. 1948 સવારે  10-30 કલાકે તેમનો ઈંતકાલ થયો.. પાકિસ્તાને તેના "ઉદ્યોગ પુરુષ" ને ભવ્ય અંતિમ વિદાય આપી.. મહમદ અલી જિનહા એ શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે મેં મારો એક મિત્ર કે જે મને નક્કર ,સચોટ અને અવામ ના હિતમાં સલાહ આપતો ગુમાવ્યો છે.. તેને અવામ કાયમ યાદ રાખશે..
પાકિસ્તાને તેના સન્નમાન રૂપે 1999 માં એક ટપાલ ટીકીટ બહાર પાડી , તેમાં લખેલું છે પાયોનિયર ઓફ પાકિસ્તાન
આ સન્નમાન કોઈ ને મળ્યું  હોય , તેવું જાણ માં નથી..
જેતપુર ના આવા હોનહાર કાબેલ પુત્ર ની જેતપુર માં એક કાયમી યાદી પણ  ના રાખી શક્યા જે હતી તેમાંથી પણ નામ ભૂંસી નાખ્યું અને બીજી યાદી ને જમીન દોસ્ત કરી નાખી હાજી દાઉદ હોસ્પિટલ ના ભારત નિવાસી ટ્રસ્ટી ની દાઢ ડખડી ઇમલો વેચી રોકડી કરી ,71000 ચો. મી. જમીન ની રોકડી કરી ભાગ બટાઈ કરવાનો કારસો રચ્યો મામલો કોર્ટ માં પોહચ્યો .. હાલમાં કોર્ટ મેટર છે ,આજની તારીખે તેની બઝાર કિંમત 700 કરોડ  રૂપિયા થાય તેમ છે..  આ કારસ્તનો જોઈ સર આદમજી હાજી દાઉદ ની આંતરડી જન્નત માં કકડી તી હશે...
નોંધ...
પાકિસ્તાન સરકારે મરણોત્તર  સર આદમજી હાજી દાઉદ ના સંન્માનમાં 1999 માં તેમની યાદગીરીમાં ટપાલ ટીકીટ બહાર પાડી તે નીચેના ફોટોગ્રાફ માં દર્શાવી છે. બીજી તસ્વીર મ.અલી જીનહા સાથે  સર આદમજી ની પહેલી મુલાકાત ની છે જે નેટ ઉપર થી પ્રાપ્ત થયી છે હાજી દાઉદ હોસ્પિટલ ની તસ્વીર સ્નેહી મિત્ર જીતુભાઇ પસે થી પ્રાપ્ત થયેલ છે..
------ગુણવંત ધોરડા
                જેતપુર
5-મેં-2020
સૌજન્ય..   પૂરક માહિતી ફોટોગ્રાફ
                  બાલમિત્ર.. ડો. ભુપેન્દ્રસિંહ અભાણી..
                  સ્નેહી મિત્ર.જીતુભાઇ ધાધાલ
પૂર્ણ

No comments:

Post a Comment